Input Content

પ્રગટ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અવતાર એ સંત અવતાર હોવાથી સત્સંગમાં સંતોનું સ્થાન અનેરૂ હોય એમાં કોઇ જ સંસય નથી.

શ્રી સહજાનંદ તરીકેનાં પોતાનાં સ્વામી સ્વરૂપને શ્રીજીએ નિર્મળ, વંદનીય અને પ્રભાવશાળી બનાવીને સંતોને બનાવીને સંતોને સત્સંગ સિવાયની દુનિયામાં પણ અતિ મહત્વનું અને સ્વમાન ભર્યું સ્થાન અપાવ્યું છે.

સંસારનો ત્યાગ કરીને, મોહમાયા, કામ, ક્રોધ, લોભ અને સ્વાર્થથી દુર રહીને પોતાનું સમગ્ર જીવન શ્રીજી મહારાજને શરણે સમર્પણ કરીને સત્સંગીઓને મોક્ષનો સાચો માર્ગ બતાવનાર શ્રીજીના પ્રભાવશાળી સંતોથી આજે કોણ અપરિચિત છે?

શ્રી સ્વામિનારાયણ પ્રભુના સંતોના શુદ્વ ચારિત્ર્ય, પ્રસશંનીય પ્રભુ-ભક્તિ, સાચી નિષ્ટા, અમૂલ્ય સત્સંગ સેવા, અજોડ ધીરજ અને સહનશીલતા,દિવ્ય તપોબળને તુલે જગતના અન્ય સંતો આવી શકે એમ નથી.

શ્રીજી મહારાજના પ્રભાવશાળી સંતોનાં જ્યાં જ્યાં પુનિત પગલાં પડ્યાં છે ત્યાં ત્યાં સત્સંગની છોગો ઊછળી છે. જ્યાં જ્યાં એમની દ્રષ્ટી પડી છે ત્યાં ત્યાં સમૃદ્વિ ઊછાળા મારે છે. જ્યાં જ્યાં એમની પ્રસન્નતા છવાઇ છે ત્યાં ત્યાં સત્સંગીનાં જીવન ધન્ય બની ગયાં છે. જ્યાં જ્યાં એમની પવિત્ર વાણીનો પ્રસાદ રેડાયો છે ત્યાં ત્યાં સુખ-શાંતીએ તંબુ તાણ્યા છે. એમની શુભ શિખામણોથી સત્સંગીઓનાં જીવન સફળ બની ગયાં છે. આવા દિવ્ય સંતોની હાજરીથી જ વાતાવરણ શુદ્વ અને પવિત્ર બની જાય છે.

શ્રીજીના આવા અગ્રણીય સંતોમાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરેલા શ્રી ગોપાળાનંદ સ્વામી, સત્સંગ નિપૂણર્ય અક્ષર નિવાસી શ્રી ગુણાતીતાનંદ સ્વામિ, અતિ વિધ્વાન સત્સંગના આદર્શ કવિગણ સર્વ શ્રી મુક્તાનંદ સ્વામી, ભગવાનની એક જ આજ્ઞાથી લાલજી ભગત (સુથાર) માંથી મહાન કવિ સંત બનેલા શ્રી નિષ્કુળાનંદ સ્વામી, પ્રભુને સૌ પ્રથમ લોજમાં લાવીને સત્સંગ પર મોટો ઉપકાર લાદનાર શાંતિમય સુખાનંદ સ્વામી, સત્સંગની ‘મા’ ગણાતા પ્રભાવ શાળી કવિ-સંત બ્રહ્યાનંદ સ્વામી, નામ પ્રમાણે ગુણ ધરાવતા અને સત્સંગમાં બહોળું કાવ્ય, કાવ્યક્ષેત્રે પ્રદાન કરનાર કવિગણ શ્રી પ્રેમાનંદ સ્વામી, શુકદેવજીનો અવતાર ગણાતા શાસ્ત્રકાર શ્રી શુકાનંદ, વ્યાસમુનિ સમાન અને શ્રીજીના લાડીલા ગ્રંથકાર શ્રી શતાનંદ મુનિ, એક સમયે પ્રભુએ જેમની પુજા કરીને દંડવત કરેલાં એવા મહાન કથાકાર શ્રી વાસુદેવાનંદ સ્વામિ જેવા અનેક પ્રભાવશાળી સંતોના6 આખ્યાનથી સત્સંગ ભર્યો ભર્યો છે. એમનાં નામ માત્રથી સંપ્રદાય ગુંજી ઊઠે છે.

આવા મહાન સંતોના દિવ્યજ્ઞાન, અજોડ ત્યાગભાવના અને અદભૂત પ્રેરણાથી સત્સંગ આજે આટલો પ્રભાવીત અને સદ્વર બન્યો છે.

શ્રીજી મહારાજના નંદ સંતોએ શ્રીજીની પરમ આજ્ઞામાં રહીને એમનામાં અતૂટ શ્રદ્વા રાખીને સ્વામિનારાયણ સત્સંગમાં જાન રેડ્યો છે. આ મહાન સંતોએ કઠીન અને આકરી યાતનાઓ વેઠીને, ટાઢ-તડકો અને ભૂખ-તરસનો સામનો કરીને, ઊઘાડા પગે પદયાત્રા કરીને, માન-અપમાનના કડવા ઘૂંટ પીને સત્સંગને આટલો સમૃદ્વ અને પ્રભાવીત બનાવ્યો છે. એમની સહનશીલતા, ધીરજ અને નમ્રતા તો આજે પણ દાસ સાધુ-સંતો માટે મીઠી છાંય બરાબર છે…

શ્રીજીની જીભના તાલે એમણે એમના પગ વાળ્યા છે. શ્રીજીની આજ્ઞા અનુસાર એમણે દેહને કસ્યા છે. શ્રીજીને રાજી રાખવા માટે એમણે અઘોરી બાવાના હાથે માર ખાધો છે શ્રીજીની એક જ હાકલે એમણે કોઇપણ જાતનો વિચાર કર્યા વગર સંસારનો ત્યાગ કર્યો છે અને ખટરસનો ત્યાગ કર્યો છે.

એ સંતોમાં અદભૂત શક્તિ હતી. દિવ્ય તેજ હતું અને જરૂર પડ્યે ભારે ચમત્કારો સર્જવાની દિવ્ય શક્તિ હતી. ભૂત-પિશાચ જેવાં મલીન તત્વોને પણ ભસ્મીભૂત કરવાની અદભૂત શક્તિ એમનામાં હતી. કારણ કે શ્રીજી મહારાજ એમને આધીન હતા. સત્સંગમાં આજે પણ એવા પ્રભાવશાળી સમર્થ દાસ-સંતોની કમી નથી. અને પ્રભુની એવા જ લાડીલા સંતોના પુન્ય પ્રતાપે આજે સ્વામિનારાયણ સત્સંગ આટલો પ્રભાવીત છે.

શ્રી હરિના નામનો ભેખ લેનાર સંતોનું આત્મબળ કેટલું મહાન હોય છે. એ તો સાચા સંતોના નજીકના સંપર્કમાં આવ્યા પછી જ ખ્યાલ આવે. સંસારની સઘળી મોહમાયાનો ત્યાગ કરીને મંદિરના અને સત્સંગ શરણે જતા સંતોનું ભક્તિઅબળ અજોડ હોય છે.

તમામ સત્સંગીઓ પ્રતિ સમદ્રષ્ટી રાખનાર, દરેકનું હીત ઇચ્છનાર અને સત્સંગીનું હંમેશા ભલું ઇચ્છનાર સંતોનાં દર્શનમાત્રથી સત્સંગીને રાહત જણાય છે. સંતોના પ્રભાવથી એમને આદરપૂર્વક સન્માન અપાય છે.

સંતવાણી એ પવિત્ર વાણી ગણાય છે. પ્રભાવશાળી સંતોની આજ્ઞા એ શ્રીજી-આજ્ઞા બરાબર ગણાય છે. ગમે તેવા વાદ-વિવાદમાં સંતોની આજ્ઞા એ શ્રીજી-આજ્ઞા બરાબર ગણાય છે. ગમે તેવા વાદ-વિવાદમાં સંતોનો ફેંસલો માન્ય રખાય છે. સંતોની હાજરીમાં અનેક મતભેદો દુર થાય છે.

પ્રભુના સાચા સંતોના સારા પકવાનની રસોઇ આપવાથી પુન્ય મળે છે. ભગવાન રાજી થાય છે. સંતોને ધોતિઆં ઓઢાડવાથી પણ પુન્યમાં વધારો થાય છે. સંતોની ચરણરજ માથે લેવાથી કે એમને સાષ્ટાંગ દંડવત કરવાથી જીવનમાં શાંતિ પેદા થાય છે. સંતોનો રાજીપો જીવન સફળ બનાવે છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સંતો પોતાના હરિભક્તનાં દુ:ખ દર્દ દુર કરી શકે છે. એવા સંતોના હદયપૂર્વકના આર્શીવાદથી સત્સંગી સમૃદ્વ અને સદ્વર બને છે. ધંધાકીય સ્થળ પર સંતોના પગલાં કરાવવાથી ધંધામાં બરકત આવે છે.

આવા પુન્યશાળી સંતોમાં શ્રીજી મહારાજનો વાસ રહેલો છે. એમનામાં અદભૂત ઇશ્વર-શક્તિ સમાયેલી છે અને જરૂરત પડ્યે સત્સંગ અને સત્સંગીના હીતાર્થે એ શક્તિ વાપરતાં પણ અચકાતા નથી.

શુદ્વ ચારિત્ર્ય અને પવિત્ર વિચારો ધરાવતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતના દર્શન એ પણ એક અમૂલ્ય લ્હાવો છે…..

સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પરનું પોતાનું ભગીરથ કાર્ય સંકેલીને પોતાના ધામમાં પરત ફરવાની તૈયારીમાં હતા ત્યારે એમણે તમામ સત્સંગીઓને ચાર પુનિત જગાએ પોતાની હાજરી હોવાનો કોલ આપ્યો હતો. (૧) સ્વહસ્તે પધરાવેલી મૂર્તિઓમાં (૨) એમની આજ્ઞાથી પ્રગટ થયેલા ધાર્મિક ગ્રંથોમાં (૩) એમણે નીમેલા એમના ધર્મકુળ પરિવારના આચાર્યોમાં અને (૪) એમના સાચા સંતોમાં. પ્રભુનો આ અદભૂત કોલ આજે પણ આપણી સમક્ષ જીવંત છે. એમાં કોઇ જ સંસય નથી.

No Comment

Comments are closed.