Input Content

સમાજમાં દાક્તરની પત્ની એક મોભા ભર્યું સ્થાન ધરાવે છે. લોકો એને માનથી બોલાવે છે. મહિલા વર્ગમાં એનું આગવું સ્થાન હોય છે. દાદા-દાદીની ઊંમરમાં સ્ત્રી-પુરૂષો પણ એને તુંકારે બોલાવતા અચકાય છે. બજારમાં ખરીદી કરતી વેળાએ એના પ્રતિ ખાસ લક્ષ અપાય છે અને એક ખાસ વ્યક્તિ તરીકે એનો મોભો સચવાય છે. સમાજમાં અન્ય સ્ત્રીઓ એની સાથે ઓળખાણ રાખીને ગૌરવ અનુભવતી હોય છે.

બહારથી સુખ સંપતિથી લદાયેલી દેખાતી અને સમાજના દરેક વર્ગમાં સ્માન પામતી દાક્તર પત્નીનું સાંસારિક જીવન વાસ્તવિકતામાં ફીક્કુ અને અસંતોષી હોય છે. સંસારનું સાચુ સુખ કે પતિ સુખની પરમ સીમા એનાથી ઘણા વેગળાં રહે છે. બહારથી એશઆરામ ભર્યું જીવન વીતાવતી દેખાતી દાક્તર-પત્નીના અંગત જીવનમાં ડોકીયું કરતાં વાત્સ્વીક્તા કંઇક જુદી જ દેખાય છે.

પોતાના વ્યવસાયમાં રચ્યાંપચ્યાં રહેતો દાક્તરો ઘર અને પત્ની તરફ મોટેભાગે બેદરકાર જ હોય છે. ખૂબ વ્યવસાયી દક્તરને ઘર જેવું કે સુખી સંસાર જેવું કંઇ રહેતું નથી. એમના માટે ઘર માત્ર સમય પુરતો આરામ કરવાનું સ્થળ અને સ્ત્રી એ થાક ઊતારવા અને શારિરીક તૃપ્તી મેળવવા માટેનું એ સાધન જ બની રહે છે…. ઘર કે પત્નીમાં એ ઇચ્છા હોવા છતાંય પુરી દિલચશ્પી લઇ શક્તો નથી.

દર્દી અને હોસ્પીટલના વાતાવરણમાં ગળેડૂબ રહેતો દાક્તર પોતાના બાળકો માટે પણ જરૂરી સમય આપી શકતો નથી. એના બાળકોના સ્વભાવ, મસ્તી, તોફાન કે જરૂરિયાતથી એ વંચિત રહે છે…એના બાળકો પણ સંજોગોનુસાર એની સાથે આત્મનિષ્ટા કેળવી શકતાં નથી. એવા દાક્તરનાં બાળકો મોટે ભાગે પિતાના લાડપાડથી વંચીત રહે છે. બાપના ખોળામાં બેસીને મસ્તી તોફાન કરવાનો મીઠો અવસર એમના માટે દુલર્ભ બની રહે છે.

ઘર ચલાવવાની બધી બાબતો, બાળકોની રોજિંદી જરૂરીયાતો અને શિક્ષણની બાબતો દાક્તર પત્નીએ સ્વેચ્છાએ સ્વીકારવી પડે છે.

સગાસબંધીઓ સાથેનો વ્યવહાર, વ્યવહારિક લેણદેણ, ઘરમાં ઘરડા માબાપની જવાબદારી અને કુટુંબની અન્ય જવાબદારી દાક્તર પત્નીએ જ સંભાળવાની રહે છે.

દાક્તર પત્ની ખૂબ જ શાંત સ્વભાવની, ધીરજવાન, મોટા મનની અને મોટેભાગે રાતના પણ એકાકી જીવન રહેવા ટેવાયેલી હોવી જોઇએ. દાક્તરની પત્નીએ દાક્તરના અગ્રણીય દર્દીઓની પણ નોંધ રાખવાની રહે છે. જેથી કરીને છાશવારે આવતા દર્દીઓના ફોનનો યોગ્ય જવાબ અને સંદેશ આપી શકે. દાક્તર પત્ની એક સારી અને મીઠા સ્વભાવની ટેલીફોન ઓપરેટર જેવી હોવી જોઇએ જેથી કરીને મધરાત્રીએ પણ ઊંઘમાંથી ઊઠીને પણ મીઠસથી ટેલીફોનનો જવાબ આપી શકે. દાક્તરની પત્નીએ ઇર્ષા, વહેંમને એના જીવનમાંથી તિલાંજલી આપવી પડે. જેથી કરીને મોડી રાતે રૂપકડી નર્સ સાથે એકાંતમાં રહેતા પતિદેવા સાથે વ્યર્થ મતભેદ ના પડે. સુંદર અને યુવાન મહિલા દર્દીઓની નિર્વસ્ત્ર તપાસ કરતા એના પતિના ચારિત્ર્ય પર શંકા ના આવે?

દાક્તરની પત્ની થોડીઘણી દાક્તરી વ્યવસાયથી પરિચિત હોવી જોઇએ. જેથી કરીને દાક્તરની ગેરહાજરીમાં આવતા દર્દીઓ કે ઓળખીતા પડોશીજનોની એ નાની નાની સેવા કરી શકે. કબાટમાં રહેલી દવાઓ વાગ્યા, દાઝ્યા પરની સારવારથી એ પરિચિત હોવી જોઇએ.

દાક્તરની પત્નીને હરવા ફરવાના શોખ જતો કરવો પડે. ઘરમાં જે કંઇ પ્રાપ્ત સગવડો મળી શકે એનાથી સંતુષ્ટ થવું પડે. દાક્તરની પત્નીને વ્રત પારાયણથી દૂર રહેવું પડે. તેમાંય ખાસ કરીને જ્યાં પતિની અમુક સમયે હાજરીની જરૂરત રહે છે. છેલ્લે ઘડીએ એનો દાક્તર પતિના દર્દીના કારણે એના પ્રસંગમાં હાજર રહી શકતો નથી….. પતિદેવને જમાડીને જમનાર પત્ની સંતુષ્ટ ન થઇ શકે કારણ કે એના પતિદેવનો સાંજે ઘેર આવવાનો કોઇ નક્કી સમય હોતો નથી. ઘણી વખત પતિદેવ રાત્રે અગિયારથી બાર વાગ્યે આવે છે તે પણ અમુક સમયે બહાર જમીને.

        દાકતર અને દર્દીના હદયમાં સોંસરો ઉતરીને એને રોગ મુક્ત કરવા રાત દિવસ એક કરે છે પણ પોતાની હદયરાણી ધર્મપત્નીના હદયના ધબકારા સાંભળવાની પણ એને ફુરસદ નથી.

અન્ય ગૃહિણીઓ કરતાં દાક્તરની પત્નીની જવાબદારી અનેક ઘણી વધારે હોય છે. દાસ્તરની પત્ની ભલે હંમેશા મોટર રીક્ષામાં ફરતી હોય, કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરતી હોય, ખૂબ ઠાઠ-માઠથી આબેહૂબ ફર્નીચરવાળા બંગલામાં રહેતી હોય, ઘરમાં મોટા ભાગનું કામ નોકર ચાકર પાસે કરાવતી હોય છ્તાંય એના જીવનમાં સાચી સુખ શાંતીની ઝાંખી ભાગ્યે જ થતી હોય છે. દાક્તરની પત્ની જો સંજોગો પ્રમાણે અને એના પતિના વ્યવસાય પ્રમાણે રહેતાં ટેવાયેલી ના હોય તો એનો સંસાર જીવતાં જાગતાં નરક જેવો બની જાય છે. દીવાથી શોધતાં પણ એને ક્યાંય સુખશાંતી શોધ્યાં મળી શકે નહિં.

દાક્તરને પરણતાં પહેલાં એને દાક્તરના વ્યવસાય,દાક્તરનું વાસ્તવિક જીવન અને એક દાક્તરની પત્નીનું સાચા અર્થમાં જીવનનો થોડો અભ્યાસ કરી લેવો જરૂરી છે. જાણી બૂઝીને પોતાના જીવનને અગ્નિમાં હોમ્યા કરતાં કે કોઇ ભલા સેવાભાવી દાક્તરના વ્યવસાય પર કાળી ટીકડી લગાડ્યા કરતાં તો દાકતર-પત્ની ન થવામાં જ હીત સમાયેલું છે.

સારો દાક્તર હંમેશા પોતાની જરૂરિયાત કરતાં પોતાના દર્દીની જરૂરિયાતને આગળ રાખે છે. દર્દીને સાજો કરવા એ સધળું ન્યોછાવર કરવા તૈયાર હોય છે. દર્દીનાં હીતાર્થે એ પોતાના સંસારને કડવો બનાવવા તૈયાર થાય છે. એક દર્દીની જરૂરિયાતો એને એની ધર્મપત્ની કે બાળકોની જરૂરિયાતો કરતાં વધારે જરૂરી લાગે છે. એનો વ્યવસાય એની પુજા છે. હોસ્પીટાલ એનું મંદીર છે.

દાક્તરની પત્ની જો દયાની મૂર્તી, શહનસીલતાની દેવી, પતિ પર અતૂટ વિશ્વાસ ધરાવતી ધર્મપત્ની, સાચી સમાજ સેવિકા, માનવ સેવા માટે જીવન અર્પણ કરનાર વિરાંગના બનીને રહેતો એનું જીવન સમગ્ર સમાજ માટે આર્શીવાદરૂપ બની રહેશે.

વ્યવસાયની સંપૂર્ણ સમજ ધરાવતી દાક્તરની પત્ની ગમે તેવા સંજોગોમાં પણ સંસારને સુખમય વળાંક આપી શકે છે. શુશિલ, સંસ્કારી અને સમજુ સ્ત્રી જ સાચા અર્થમાં સાચા માનવ સેવક દાક્તરની ધર્મપત્ની બની શકે. ફક્ત પોતાનો સ્વાર્થ સાધતી અને વાત વાતમાં ટેલીફોન પર ખોટા જવાબ આપતી, દાક્તરને મેણાં મારતી અને ઝગડો કરતી પત્ની દાક્તર માટે અયોગ્ય સ્થાને છે. દાક્તરે લગ્ન કરતાં પહેલાં ચોખવટ કરી લેવી જરૂરી છે અને એક સારા દાક્તરને પરણતા પહેલા સ્ત્રીએ પણ પૂરતો વિચાર કરી લેવો જરૂરી છે.

No Comment

Comments are closed.