Input Content

ગુજરાતમાં સરસિયાના તેલ તરીકે જાણીતું અને બાપ દાદાના વખતમાં રોજીંદા વપરાશમાં છડે ચોક વપરાતા સરસવ તેલનો આજે આહાર ઊપયોગ તો નથી પણ ઔષધ ઉપયોગ તરીકે એનો વપરાશ ઘણો છે. અગાઉના જમાનામાં સરસિયાના તેલની ગામડે ગામડે ઘાણીઓ ચાલતી. ખેતીમાં સરસિયા મોટા પ્રમાણમાં વાવવામાં આવતા અને ઘાંચીને ત્યાંથી તેલના ડબાને ડબા લેવામાં આવતા.

સરસિયાનું તેલા ખાતી પ્રજા એટલી ખડતલ અને મજબુત હતી. વાના રોગો બહું જ ઓછા થતાં. સરસિયાનો ખોળ પણ પશુઓ માટે એતલોજ બળવર્ધક અને આરોગ્યમય હતો.

આજે પણ સરસિયા તેલનો ભૂતકાળ આપણી સમક્ષ અટહાસ્ય વેરે છે. મગફળી, મકાઇ, અને કપાસીયાનું તેલ ખાનારો સરસિયાના તેલના ગુણ જોઇને થોડો લલચાય જરૂર છે.પણ સ્વાદને આધિન એ સરસવના તેલને પોતાના આહારમાં સ્થાન આપી શકતો નથી. જેથી સરસવનું તેલ તલના તેલની માફક ઔષધ રૂપે જ વપરાય છે. સરસિયું તેલ ખાવામાં વાપરતી પ્રજા આજે પણ ખડતલ અને નિરોગી જ રહેવાની, વા સાંધાના દુ:ખાવા તો એની સમીપ જ નહિં ફરકવાના એટલું તો ચોક્કસ જ છે.

સફેદ સરસવનું ચોખ્ખુ તેલ ઉપયોગમાં લેવું સારું, આજે સરસવનું તેલ આંતર બાહય બંને રૂપે ઔષધિય ઉપયોગ તરીકે વપરાય છે.

તેમાંય માલિસ માટે સરસવના તેલનો કોઇ જ હરિફ નથી. કસરતબાજો અને કુસ્તીબાજો માલિસ કરવા માટે હંમેશા સરસવ તેલ જ વાપરતા હોય છે. તેમાંય શિયાળામાં તો દરેક વ્યક્તિએ કોઇપણ જાતનો વિચાર કર્યા વગર,આળસ કાઢીને સરસવ તેલની માલીસ કર્યા બાદ જ કસરત કરવાની ટેવ પાડવી. આનાથી શરીરમાં ગરમાવો રહે છે. સ્ફુર્તી જળવાય છે. શરીરના સ્નાયું મજબુત થવાથી શક્તિ વધે છે. અને લાંબો સમય કસરત કરવાથી પણ થાકી જવાતું નથી. રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. આમવાત સિવાયના તમામ વાતરોગમાં આ તેલની માલીસ લાભદાયક છે.

નિત્ય કબજિયાત રહેતી હોય એમણે તેલની પ્રમાણસર બસ્તિ લેવી. એનાથી વાયુના રોગો પણ મટે છે. કૃમિનો પણ નાશ થાય છે.

સરસવ તેલના ટીપાં સહેજ ગરમ કાનમાં નાખવાથી કાનમાં દુ:ખાવો, રસી, પાક, ધાક, અવાજ આવવો કે બહેરાશમાં પણ એટલો જ પ્રભાવ બતાવે છે.

સરસવ તેલ નસ્યવીધીમાં પણ ખૂબ જ અસરકારક પુરવાર થયું છે. E.N.T. ના રોગોમાં એના ગુણપ્રધાન ઉપચાર અગ્રણિય સ્થાનેછે.

માથાનો દુ:ખાવો, નાક બંધ થવું, નાકની શરદી, યાદશક્તિ, સાદ બેસી જવો, દષ્ટી ઝાંખપ, ચહેરા પર ચમક, વાળ ખરવા કે અકાળે સફેદ થવા, આંખોમાં બળતરા વિગેરેમાં નાકમાં સવાર સાંજ સરસવ તેલનાં ટીપાં નાખવાથી ચમત્કારીક ફાયદો જણાય છે.

સરસવ તેલના કોગળા મોઢે ભરવાથી પાયેરીયા, દંતકૃમિ, દંતપીડા, સ્વરભેદ, પેઢામાં દુ:ખાવો વગેરેમાં સારો લાભ થાય છે. સરસવ તેલમાં કાળું નીમક નાખીને ઘસવાથી દાંત મજબૂત અને ચકચકીત થાય છે.

ચિતભ્રમ, ગાંડાપણ કે વાઇ-ફેકરૂના દર્દીએ સરસવ તેલનું નસ્ય આપવાથી લાભ થાય છે. વાગ્યા પર સરસવ તેલને ગુગળમાં કકળાવીને ડ્રેસીંગ કરવાથી અને દાઝયા પર સરસીયું તેલ રેડવાથી રૂઝ આવે છે. સરસિયું તેલ પ્રમાણસર પીવાથી મેદ ઓછો થાય છે, સોજા ઊતારે છે અને લાંબા ગાળાના સેવનથી હાથી પગામાં પણ રાહત જણાય છે.

શીળશ અને ખંજવાળ માટે તો સરસવ તેલ રામબાણ ઇલાજ છે. અસરગ્રસ્ત ભાગ પર તેલની માલીસ કરવાથી ઘણી રાહત થાય છે.

નાના બાળકોને પણ સરસીયાં તેલની માલીસ કરવામાં આવે છે. પક્ષાઘાતમાં સરસીયા તેલની માલીસ અસરદાયક જણાઇ છે. મોં ના લકવામાં અસરગ્રસ્ત ભાગ પર સરસિયાં તેલની માલીસ, સરસિયાં તેલના કોગળા, સરસ્યા તેલનું નસ્ય અને પ્રમાણસર સરસિયું તેલ પીવાથી ઘણી રાહત થાય છે.

વઘારમાં સરસિયાં તેલનો વપરાશ હીતદાયક છે. અથાણામાં પણ સરસિયાં તેલનો વપરાશ કરવાથી તંદુરસ્તી સારી રહે છે.

રોજીંદા જીવનમાં સરસિયાં તેલનો વપરાશ જરૂરી છે. ખેડૂતોએ સરસિયાંના વાવેતરને ફરી જીવનદાન આપવાની જરૂર છે. અને સરકારને આ ક્ષેત્રે કિશાનોને પ્રોત્સાહીત કરવાની જરૂર છે.

સરસિયું તેલ જલ્દી બગડતું ન હોવાથી એનો લાંબા ગાળા સુધી ઉપયોગ થઇ શકે છે.

મગફળીનું તેલ આજે આરોગ્ય માટે સુગમ ગણાયું નથી. લોહીમાં બ્લ્ડ કોલેસ્ટ્રોલ વધારવાની સાથે સાથે અન્ય તકલીફો પણ પેદા કરે છે. એની જગાએ સરસવ તેલ આર્શીવાદરૂપ બની રહેશે એમાં કોઇ જ સંસય નથી. સરસવનું તેલ ખાધ-ઊપયોગમાં લેવાથી આરોગ્ય ક્ષેત્રે ઘણા લાભ થશે એમાં કોઇ જ સંસય નથી..

No Comment

Comments are closed.